સસ્પેન્ડેડ પોલીસ અધિકારીએ દીકરીના લગ્નમાં દહેજમાં આપ્યા 1.15 કરોડ રોકડા, જાનૈયા જોતા જ રહી ગયા
એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. 1.15 કરોડ રૂપિયા દહેજમાં ખુલ્લેઆમ આપવાનો મામલો છે. થાળીમાં સજાવીને મૂકેલી આ રકમને જોઈને જાનમાં આવેલા લોકો અચરજ પામ્યા હતા. સામાન્ય રીતે દહેજ લેવી કે આપવી એ અપરાધ છે. જોકે અહીં તો કોઈ પણ પ્રકારની શરમ વગર તેનું જાહેરમાં પ્રદર્શન કરવામાં આવ્યું. બીજી તરફ કોવિડના કારણે લગ્નમાં ભીડ એકત્રિત કરવી તે પણ ગુનો છે. જોકે એક સસ્પેન્ડ કરાયેલા પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે આ બધા નિયમોને નેવે મુકીને તેની દિકરીના લગ્ન કર્યા.
તેણે પોતાની છોકરીને 1 કરોડ 15 લાખ 101 રૂપિયા કેશ આપ્યા. એટલું જ નહિ 1 લાખ રૂપિયાથી વધુના કન્યાદાનની રકમ પણ તેના સાસરિયાને આપી. આટલી મોટી રકમ દહેજમાં આપવાનો વીડિયો પ્રકાશમાં આવ્યો છે. તેમાં એક વ્યક્તિ રકમની જાહેરાત કરી રહ્યો છે અને એક થાળીમાં રાખેલી 500-500 રૂપિયાની નોટોના બડલો દેખાઈ રહ્યાં છે. આટલી મોટી રકમ દહેજમાં આપવાના કારણે આ લગ્ન ભરતપુરમાં ચર્ચાનો વિષય બન્યા છે.
ઉચ્ચૈનની તિયાપટ્ટી કોલોનીમાં 23 જાન્યુઆરીએ સસ્પેન્ડ કરવામાં આવેલા પોલીસ સ્ટેસન ઈન્ચાર્જ અર્જુન સિંહની પુત્રી દિવ્યા કુમારીના લગ્ન હતા અને કરૌલીના કૈમરીથી જાન આવી હતી. જાનની આગતા-સ્વાગતા પછી કન્યા પક્ષ તરફથી જાનમાં આવેલા લોકોને 511 રૂપિયા અને એક પાધડી આપવામાં આવી. વરરાજા દીપક ઈન્કમ ટેક્સમાં ઈન્સ્પેક્ટર છે.
લગ્ન સમારંભમાં સરકારી પ્રતિબંધો હોવા છતાં લગભગ 800 લોકો ભેગા થયા. જોકે પ્રશાસને કોઈ જ કાર્યવાહી કરી નથી. એ પણ એવા સંજોગોમાં જ્યારે નદબઈના ધારાસભ્ય જોગેન્દ્ર સિંહ અવાના, ઉચ્ચૈન પ્રધાન હિમાંશુ અવાના, પૂર્વ ધારાસભ્ય ધનશ્યામ મહર, પૂર્વ ધારાસભ્ય ધનશ્યામ મહર, પૂર્વ ધારાસભ્ય બૃજેન્દ્ર સૂપાના પુત્ર દિનેશ સૂપા સહિત ઘણા અગ્રણી લોકો આ કાર્યક્રમમાં હાજર હતા. તેમ છતાં સ્થાનિક પ્રશાસને ત્યાં ભીડને ભેગી થવા દીધી હતી.
એડવોકેટ કે પી સિંહેના જણાવ્યા મુજબ દહેજ નિષેધ અધિનિયમ-1961ની કલમ-3માં દહેજ લેવી કે આપવી તે ગુનો છે. દહેજની લેવડ-દેવડ કરનાર કે તેમાં સહયોગ કરનારને પાંચ વર્ષની જેલ અને 15 હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે. બીજી તરફ એસપી દેવેન્દ્ર વિશ્નોઈનું કહેવું છે કે સસ્પેન્ડ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પર કાર્યવાહી માટે મામલાનું કાયદાકીય પરીક્ષણ કરાવી રહ્યાં છે.
વીડિયો જોઈને કલેક્ટરે રિપોર્ટ માંગ્યો ભરતપુરના કલેક્ટર અલોક રંજને કહ્યું કે આ લગ્ન બાબતે મને પણ વીડિયો દ્વારા જાણવા મળ્યું છે. આ મામલામાં ઉચ્ચૈન એસડીએમ પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે. જો લગ્નમાં કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવામાં આવ્યું તો નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
છોકરીના પિતા લાંચ અને મારપીટના આરોપમાં સસ્પેન્ડ છે
અર્જુન સિંહ લગભગ 30 વર્ષથી ઉચ્ચૈનમા રહે છે. અહીં તેમના બે મકાન છે. તેમાંથી એકમાં બેન્ક ચાલે છે. અર્જુન સિંહને નવેમ્બર 2019માં કામાંના ઘિલાવટી પોલીસ સ્ટેશનમાંથી પહેલા સસ્પેન્ડ કરવામાં આવ્યા. અર્જુન સિંહને નવેમ્બર 2019માં લાંચ પેટે 2 લાખ રૂપિયા ન આપવામાં આવતા, તેણે ઘિલાવટી પોલીસ સ્ટેશનમાં અનિલ શર્મા નામના વ્યક્તિને માર્યો હતો. આ કેસમાં અર્જુનને નવેમ્બર 2019માં સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો