સંખેડાના 108ના સ્વ. પાઇલોટના પરિવારને 50 લાખની સહાય, 13 વર્ષથી ઇમરજન્સી સેવામાં ફરજ બજાવતા હતા

સંખેડા: છોટાઉદેપુર જિલ્લાની સંખેડા 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા પર 13 વર્ષથી પાઇલોટ તરીકે ફરજ બજાવતા સ્વ. રમણભાઈ બારીયા જેઓએ તેમની કારકિર્દીમાં અનેક લોકોના જીવન બચાવ્યા હતા. અને કોરોના વાયરસની વૈશ્વિક મહામારીમાં અનેક લોકોને સેવા આપતા આપતા કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. પરંતુ સારવાર દરમ્યાન ગોત્રી હોસ્પિટલમાં તા. 12 મેનાં રોજ જીવ ગુમાવ્યો હતો.

જિલ્લા કલેકટર અને GVK EMRI 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા સંસ્થાના અથાગ પ્રયત્ન થકી PMGKP યોજના હેઠળ રૂપિયા 50 લાખની સહાય તેમના પરિવારના બેન્ક ખાતામાં જમા કરતા પરિવારજનોએ જિલ્લા કલેકટર તથા GVK EMRI 108 ઇમરજન્સી સેવાનો આભાર વ્યક્ત કર્યો હતો. સ્વ.રમણભાઈ બારીયા કોરોના મહામારી દરમ્યાન સંક્રમણ થતા મૃત્યુ પામેલ હોઈ સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ જાહેર કરવામાં આવેલ ઇન્શ્યોરેન્સ કવરનો લાભ તેઓના પરિવારજનોને મળી શકે તે માટે GVK EMRI સંસ્થા દ્વારા યોજના હેઠળ સમય મર્યાદામાં જરૂરી કાર્યવાહી હાથ ધરેલ હતી. અને સરકારના નિયત કરેલ નીતિનિયમોનુસાર જરૂરી દસ્તાવેજો સાહિતની અરજી સંલગ્ન કચેરી ખાતે મોકલી આપેલ હતી.

સરકારના અધિક નિયામકની કચેરી, તબીબી સેવાઓ, આરોગ્ય વિભાગ તથા કલેક્ટરની કચેરી સાથે જરૂરી સંકલન સાધી નિયત કાર્યવાહી પૂર્ણ કરી પરિવારજનોને સમયસર સહાય મળે તે મુજબની સફળ કામગીરી કરેલ હતી. પરિવારના જણાવ્યા મુજબ તેઓને આટલી મહામૂલી રકમની સહાય મળશે તેવો અનુમાન પણ ન હતો. GVK EMRI 108 ઇમરજન્સી સેવા સંસ્થા દ્વારા PMGKP યોજનાની સહાય અપાવવા કાર્યવાહી કરી કપરા સમયમાં પુરતો સહકાર આપેલ છે. સંખેડા 108ના પાઇલોટ સ્વ. રમણભાઈના અવસાન થયાના બીજા જ સપ્તાહે તેમની દીકરીનું લગન હતું. લગનની બધી જ તૈયારીઓ થઇ ગઇ હતી. અને એવામાં જ રમણભાઈ કોરોના સંક્રમીત થયા હતા. અને એકદમ જ ટૂંકી સારવાર બાદ તેમનું અવસાન થયું હતું. રમણભાઈનું અવસાન થતાં લગ્ન મોકૂફ રખાયું હતું.

error: Content is protected !!