રાષ્ટ્રીય પક્ષી મોરની એક શહીદ જેવી વિદાઈ, ત્રિરંગામાં લપેટીને કાઢવામાં આવી અંતિમ યાત્રા, જુઓ તસવીરો
રાજસ્થાનના ઝુંઝુનુંમાં શુક્રવારે એક અનોખી અંતિમયાત્રા કાઢવામાં આવી. શબને ત્રિરંગામાં લપેટવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો અંતિમયાત્રાની સાથે ચાલી રહ્યા હતા. લોકોમાં ઉત્સુકતા થઈ કે કોણ શહીદ થયું છે, પરંતુ જ્યારે અર્થી પર મૃતદેહ જોયો તો દરેક લોકોમાં આશ્ચર્ય થયું. આ શબ હતું રાષ્ટ્રીય મોરનું, જેને શહીદની જેમ અંતિમ વિદાઈ આપવામાં આવી.
મંડાવા મોડ વિસ્તારમાં એક મોરને વીજળીનો કરંટ લાગતાં એ જમીન પર પડી ગયો હતો. સ્થાનિક લોકોએ વેટરિનરી ડોકટર અનિલ ખીચડને તાત્કાલિક બોલાવ્યા. વેટરિનરી ડોકટર ત્યાં પહોંચીને મોરની સારવાર શરૂ કરી, પરંતુ તેઓ મોરને બચાવી ન શક્યા અને તેને અંતિમ શ્વાસ લીધા.
મોરના મોતથી ડોકટરને લાગી આવ્યું, ડોકટરની ઓળખ વિસ્તારમાં પક્ષીપ્રેમી તરીકેની છે. ડોકટર ખીચડે પોતાના કેટલાક ઓળખીતાઓને મોરના અંતિમસંસ્કાર સન્માનની સાથે કરવાનું કહ્યું. એ બાદ તેમના સાથીઓએ અને કેટલાંક શહેરીજનોએ જે કંઈ કર્યું એ પશુ-પંખીપ્રેમની દૃષ્ટિએ ઉત્તમ ઉદાહરણ રૂપ બની ગયું.
રાષ્ટ્રીય પક્ષી મોરને પૂરા સન્માનની સાથે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા. લોકોએ અર્થીને કોઈ સ્વજનનું મોત થયું હોય એ રીતે શણગારી હતી. ચાર લોકોએ કાંધ આપી હતી. ખાસ વાત એ રહી કે મોરને ત્રિરંગામાં લપેટીને શહીદની જેમ વિદાઈ આપવામાં આવી.
અંતિમયાત્રા દરમિયાન DJ પર દેશભક્તિના ગીત વગાડવામાં આવ્યાં હતાં, જ્યાંથી પણ અંતિમયાત્રા પસાર થઈ ત્યાંના લોકોએ હાથ જોડીને વંદન કર્યા. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા. શબ યાત્રાને જોઈને લોકોને લાગ્યું કે કોઈ જાણીતી વ્યક્તિનું નિધન થયું હશે. જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે અર્થીમાં મોરનો મૃતદેહ છે તો લોકોએ સન્માન આપતા સંવેદના પણ વ્યક્ત કરી. શબ યાત્રા માર્કેટમાંથી પસાર થઈ તો વેપારી પોતાની ગાદી છોડીને મોરના સન્માનમાં ઊભા થઈ ગયા અને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.
ડૉ. અનિલ ખીચડે જણાવ્યું કે રાષ્ટ્રીય પક્ષી મોરના અંતિમ સંસ્કાર પૂરાં સન્માનની સાથે કરવાનો નિશ્ચય કરાયો હતો. મોર માટે અર્થી તૈયાર કરવામાં આવી અને રાષ્ટ્રીય ધ્વજમાં લપેટીને અંતિમ વિદાઈ અપાઈ. શબ યાત્રા મંડાવા રોડથી રવાના થઈને ઈન્દિરા નગર સ્થિત સ્મશાન ઘાટ પહોંચી. જ્યાં મોરની વિધિ વિધાન અને નિયમોની સાથે અંતિમસંસ્કાર કરાયા. જિલ્લામાં સાડા દશ હજારથી વધુ મોર છે.