ગુજરાતનો શોકિંગ બનાવ, માલધારી સમાજના યુવકની સરાજાહેર હત્યા, કારણ જાણી હચમચી જશો
અમદાવાદ જિલ્લાના ધંધૂકા શહેરમાં માલધારી સમાજના યુવકની અજાણ્યા શખ્સોએ કરેલી હત્યા મામલે આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા ધંધુકા બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેના પગલે આજે સવારથી ધંધુકા સજ્જડ બંધ રહ્યું છે. સવારથી તમામ વેપારીઓએ દુકાનો બંધ રાખી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે સમગ્ર જિલ્લાની એસઓજી, એલસીબી અને સ્થાનિક પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બીજી તરફ આ ઘટના બાદ ધંધુકા ધંધુકાના PI સી.બી.ચૌહાણને હટાવી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ સાણંદના PI આર.જી.ખાંટને ધંધુકામાં મુકવામાં આવ્યા હતાં.
અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરતા કિશનનું મોત
સમગ્ર બનાવની વાત કરીએ તો મંગળવારે મોડી રાત્રે કિશન બોડીયા નામનો યુવક જુના ઘર પાસેથી પસાર થતો હતો ત્યારે બે અજાણ્યાં શખસોએ આવીને ફાયરિંગ કર્યું હતું જેમાં એક મિસ ફાયર થયું હતું અને બીજી ગોળી વાગતા કિશનનું હોસ્પિટલમાં લઈ જતા જ મોત થયું હતું. ઘટનાને પગલે માલધારી સમાજમાં રોષ ફેલાયો હતો. જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની માગ કરાઈ હતી જો કે આગેવાનો અને પોલીસની સમજાવટ બાદ મૃતદેહ સ્વીકારી લેવાયો હતો.
મૃતક યુવકના નામે સ્ટેચ્યુ બનાવવાની માંગ
આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રદેશ અધ્યક્ષ સહિતના અનેક આગેવાનો ધંધુકા મૃતકના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા. સમાજના આગેવાનો અને પરિવારજનોએ સાથે મીટીંગ કરી હતી. મૃતક યુવાન કિશને એક સમાજ માટે નહિ પરંતુ હિન્દુ ધર્મ માટે બલિદાન આપ્યું છે. તેઓનું બલિદાન એળે ના જાય તે માટે યુવાન અમર રહે તેવી માંગ કરવામાં આવી છે. ધંધુકામાં એક માર્ગ કિશનના નામે બનાવવામાં આવે કરી એનું સ્ટેચ્યુ બનાવાવમાં આવે તેવી પણ માગ કરવામાં આવી છે.
વિરોધ પ્રદર્શનને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
આ અંગે અમદાવાદ રેન્જ આઈજી વી.ચંદ્રશેખરે જણાવ્યું હતું કે ધંધુકામાં આજે સવારથી માહોલ શાંત છે.કેટલાક લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જેથી SP સહિતના અધિકારીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.પોલીસ દ્વારા પણ મૃતકના આરોપીની શોધખોળ કરવામાં આવી છે, આરોપી ધરપકડની નજીકમાં છે જેને પકડીને જેલને હવાલે કરવામાં આવશે.
ધંધૂકાના PIની બદલી
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતક કિશનની અંતિમ યાત્રા નીકળી હતી. ઘટનાને પગલે સમગ્ર ધંધુકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. હત્યાની ઘટના બાદ ધંધુકાના PI સી.બી.ચૌહાણને હટાવી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ સાણંદના PI આર.જી.ખાંટને ધંધુકામાં મુકવામાં આવ્યા છે.
મિડીયા અહેવાલો અનુસાર 6 જાન્યુઆરીએ મૃતકે ફેસબુક પર ધાર્મિક લાગણી દુભાય એવી પોસ્ટ મુકાઈ હતી. જેની 9 તારીખે ફરિયાદ થઈ અને કાર્યવાહી થઈ હતી. ફેસબુક પરની પોસ્ટને ધ્યાનમાં રાખી આયોજનબદ્ધ રીતે હત્યા કરવામાં આવી છે. 25 જાન્યુઆરીએ કિશન ભરવાડની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે.